Well come My friends to my Page

Friday, April 26, 2013

ભગવદ ગીતાનો દિવ્ય સંદેશ સંક્ષેપમાં – મૂળ અંગ્રેજી ઉપરથી કાવ્યાનુવાદ



 ભગવદ ગીતાનો દિવ્ય સંદેશ સંક્ષેપમાં મૂળ અંગ્રેજી ઉપરથી કાવ્યાનુવાદ

S

ગીતા તમામ વેદો અને ઉપનિષદોનો સાર છે.સમગ્ર મહાભારતનું નવનીત મહર્ષિ વેદ વ્યાસે ગીતાના કુલ સાતસો શ્લોકો દ્વારા અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વને પીરસ્યું છે.ગીતા એ જીવન યોગ છે.જીવનના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ ગીતાના સંદેશમાંથી મળી રહે છે.જીવન કેમ જીવવું એની કળા ગીતા આપણને શીખવે છે.


દરેક મનુષ્યની અંદર એક શંકાશીલ અર્જુન છુપાઈને બેઠેલો હોય છે.જ્યારે અર્જુન તત્વમાં યોગેશ્વર કૃષ્ણનું તત્વ ભળે એટલે જે જીવન સંગીતનું ગાન પ્રગટે એ જ ગીતા.કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે રથ ઉભો રાખીને સારથી બનેલા શ્રી કૃષ્ણે સખા અર્જુનની શંકાઓનું નિવારણ કરતાં કરતાં અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વની માનવ જાતને જીવન જીવવા માટેની કળા માટેનો એક અણમોલ અને પ્રેરક સંદેશ આપ્યો છે.આવી રત્નાકર જેવી ગીતાની અંદર ડૂબકી મારી ઊંડેથી રત્નો પ્રાપ્ત કરીને એનું ગાન કરીએ અને જીવન સંગીત પ્રગટાવીએ.


શ્રીમદ ભગવદ ગીતા ઉપર આજ દિન સુધીમાં એનો અર્થ અને ભાવ સમજાવતાં ઘણાં ભાષ્યો,નિબંધો અને પુસ્તકો લખાયા છે અને પ્રવચનો થયાં છે અને થતાં રહેશે.સામાન્ય માણસ માટે આ બધું વિવેચન વાંચવું અને સમજવું સહેલું નથી. એટલા માટે ગીતાના મુખ્ય સંદેશનો સાર આપવાના પ્રયત્ન અવારનવાર થતા જોવા મળે છે.શ્રી રામ કૃષ્ણ પરમહંસે તો આવા પ્રયત્નની હદ કરતાં કહ્યું છે કે ગીતા શબ્દના અક્ષરો ઉલટાવો એટલે તાગી-એટલે કે ત્યાગી થઇ જાય,ત્યાગ કરતાં શીખો એટલે તમારી ઉન્નતી થઇ જશે.ગીતામાં જે લખ્યું એ આમાં આવી ગયું.


થોડા દિવસ પહેલાં કોઈએ અંગ્રેજીમાં કરેલ ગીતાના સાર રૂપ લેખ મારા વાંચવામાં આવ્યો.મને એ વાંચતા જ મનને જચી ગયો.આ લેખનો ગુજરાતીમાં કાવ્યાત્મક અનુવાદ કર્યો હોય તો કેવું એવો મનમાં વિચાર આવ્યો.


આ વિચારની પરિપૂર્તિ રૂપે આ મૂળ અંગ્રેજી લેખનો ભાવ કાયમ રાખી આજની પોસ્ટમાં એનો ગુજરાતી કાવ્યમાં અનુવાદ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે.ગુજરાતી કાવ્ય-અનુવાદની નીચે મૂળ અંગ્રેજી લેખ પણ મુક્યો છે એને પણ વાચકો વાંચી શકશે.મને આશા છે મારો આ કાવ્યાનુવાદનો આ પ્રથમ પ્રયત્ન આપને ગમશે.
સાન ડીયેગો વિનોદ આર.


શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં
ચિંતા માથે લઇ કેમ વ્યર્થ ફરી રહ્યો છે તું.
કોની લાગી રહી છે બીક બિન કારણ તને.
કોઈ તને મારી નાખશે એવી બીક છે તને?
આત્મા નથી મરતો કે નથી જન્મ લેતો કદી.
ભૂતકાળે જે થયું એ બધું થયું સારા માટે
જે બની રહ્યું વર્તમાને એ છે સારા માટે
જે થશે ભાવિમાં પણ હશે એ સારા જ માટે
બન્યું જે ભૂતકાળે એનો અફસોસ કરવો નહીં
ભાવિની ચિંતા કરવાની પણ તારે શી જરૂર?
વર્તમાને થઇ રહ્યું જે એનું જ તું રાખ ધ્યાન.
શું ગુમાવ્યું છે તેં કે રડી રહ્યો છું તું.
શું લાવ્યો હતો સાથે જે છે તેં ગુમાવ્યું હવે,
શું પેદા કર્યું જે નાશ પામ્યું એમ માની રહ્યો
ખાલી હાથે જ આવ્યો તું જગમાં હતો
જે કંઇ છે બધું તારી પાસે, પ્રાપ્ત કર્યું છે અહીં.
દાન જે કર્યું એ બધું, અહીંથી જ તો છે આપ્યું
તારું પ્રાપ્ત કર્યું એ બધું પરમેશ્વરની દેન છે
જે તેં આપ્યું હશે એ, એને જ અર્પણ છે બધું.
ખાલી જ હાથે આવ્યો હતો જગમાં તું
ખાલી હાથે જ વિદાય થવાનો છે તું.
જે કંઇ આજ છે તારું,કાલે કોઈ અન્યનું હતું
થાશે એ બીજાનું આવતી કાલે અને પછી.
બધું તારું જ છે એમ વ્યર્થ મનમાં રાચી રહ્યો
સુખના જુઠ્ઠા ખ્યાલો તારી ચિંતાઓનું મૂળ છે.
જે પ્રાપ્ત થયું વિશ્વે,પ્રભુ એ જ આપ્યું છે તને
જે તેં આપ્યું એ બધું,પ્રભુ ને જ અર્પણ છે કર્યું.
ખાલી હાથે આવ્યો હતો,જવાનો છે ખાલી હાથે.
પરિવર્તન એ જ જગતનો અચલ નિયમ છે
માને છે તું મોત જેને,વાસ્તવમાં એક જીવન છે.
એક ક્ષણે ભલે બને તું લાખોપતિ કે કરોડપતિ
બીજી ક્ષણે પડવાનો છે તું ગરીબાઈની ખીણમાં.
મારું, તારું,મોટું,નાનું, વ્યર્થ છે એ ખ્યાલો બધા
ભૂસી જ નાખ એ ખ્યાલો તારા મનમાંથી સદા
એમ માને તો,બધું છે તારું,ને તું બધાનો પછી.
આ દેહ તારો જે કહે છે એ તારો કદી છે જ નહીં
અને તુંછે એમ કહે છે,એ તારો દેહ કદી નથી.
દેહ બન્યો અગ્નિ,પાણી,હવા,જમીન અને આકાશથી
દેહ જ્યારે પડશે ત્યારે આ પંચ તત્વમાં જશે ભળી.
કિન્તુ આત્મા અવિનાશી છે , તો પછી તુંકોણ છું ?
સમજી આ સત્યને,ન્યોછાવર કર પ્રભુને તારી જાતને
અંતેતો એ જ છે એક વિભૂતિ જે વિશ્વાસને પાત્ર છે.
પ્રભુની અપાર કૃપા અને સહાયની જે લોકોને જાણ છે
શોક, ભય અને ચિંતાઓથી તેઓ,સદાને માટે મુક્ત છે.
જે કરે તું એ બધું,કર પ્રભુચરણે અર્પણ ધરવાને કાજ
જો પછી કેવી સદાને માટે—-
આનંદ અને જીવન-મુક્તિની અજબ અનુભૂતિ થાય છે .
કાવ્યાનુવાદ વિનોદ આર. પટેલ 

No comments: